પાટિદાર સમાજમાં
બાળવિવાહ અને બાળલગ્નની
બદી ઘણા જૂના સમયથી ઘર કરી ગયેલી છે, જે બાળલગ્નનો ભોગ બનેલ
યુવાનો-યુવતીઓના લગ્નજીવનમાં અનેક સમસ્યાઓ સર્જે છે અને તેમનાં જીવન વિષમય
બનાવે છે. બાળલગ્નના આ પાપમાંથી સમાજને બચાવવા માટે ધરતી વિકાસ મંડળે
વિવિધ ગામોમાં પરિસંવાદો યોજીને અને ‘ધરતી’ માસિકમાં
લેખો દ્વારા તે વિશે પ્રચાર કરીને સમાજને તેની સામે જાગૃત કરવામાં
મહત્ત્વનો ફાળો આપ્યો. આ ઝુંબેશના ભાગરૂપે આ માટેનો પ્રથમ બાળલગ્ન નાબૂદી
પરિસંવાદ અમદાવાદમાં ઇ.સ. 1986માં યોજેલો. બીજો પરિસંવાદ મહેસાણામાં ઇ.સ.
1989માં યોજેલો. આ પરિસંવાદોના વિચારોનો ‘ધરતી’ માસિક
તેમજ અન્ય સામાજિક સુધારાનાં સામયિકોએ વ્યાપક પ્રચાર કર્યો. આ સંસ્થા તેમજ
અન્ય સામાજિક સંસ્થાઓના પ્રયાસોને પરિણામે આજે પટીદાર સમાજ બાળલગ્નની
બદીમાંથી મહદંશે મુક્ત થયો છે એ શુભ નિશાની છે.
ઉત્તર
ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં નાના મોટા અનેક ગોળ પ્રવર્તે છે. ગોળને સમાજ
પણ કહે છે. એક ગોળમાંથી બીજા ગોળમાં યુવક કે કન્યાનું લગ્ન ન થઈ શકે તેવો
નિયમ. આવું થાય તો સમાજના કહેવાતા આગેવાન તે વ્યક્તિને, તેના કુટુંબને
ભારે દંડ કરે, સામાજિક બહિષ્કાર કરે. તેની સાથે આર્થિક-સામાજિક વહેવાર
તદ્દન બંધ. તેના ત્યાં લગ્ન હોય કે મરણ હોય તો, તેના સગા પણ તેમાં મદદરૂપ
ના થાય. આવી બંધીને કારણે લોકો નાનાં બાળકોનાં સગપણ કે લગ્ન પણ કરી નાંખે,
કારણ સમાજમાં તેને લાયક યુવક કે કન્યા પુખ્ત ઉંમરે લગ્ન ન થયાં હોય તેવા
બાકી જ ના રહે. આ પ્રથાને કારણે સાટાં પેટાં પણ પુષ્કળ થાય. આવાં
શૈક્ષણિક, વૈચારિક, શારીરિક કજોડાં થાય પછી ઝગડા જ થાય કે બીજું કંઈ થાય?
આવાં લગ્નો તૂટો તો પણ સમાજ ભારે દંડ અને સામાજિક બહિષ્કાર કરે.
ધરતી
સંસ્થાએ સમાજના કહેવાતા, બની બેઠેલા આગેવાનો સામે, દંડિત વ્યક્તિઓને
મદદરૂપ થઈ કોર્ટોમાં કેસ કર્યા અને કોર્ટમાં આ આગેવાનોને સમાધાન કરવું
પડ્યું કે હવેથી અમે આવા દંડ કે સામાજિક બહિષ્કાર નહીં કરીએ.
આથી ઘણા બધા સમાજોમાં આ દંડ અને સામાજિક બહિષ્કાર બંધ થયા છે.
ખરી
રીતે તો સમગ્ર પાટીદાર એક છે અને તેમાં રોટી બેટી વ્યવહાર છૂટથી
– સૌની અનુકૂળતા પ્રમાણે થાય તેવું હોવું જોઈએ. આથી પણ આગળ વધી
ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, યુ.પી., બિહાર, મધ્યપ્રદેશ, સારા ભારતમાં
કડવા તથા લેઉવા અને પાટીદારો વિના રોકટોક, અંદરોઅંદર લગ્નસંબંધ ગોઠવે તે
દિશામાં પ્રગતિ કરવી જરૂરી છે. તેથી એકતા વધશે, પ્રગતિ થશે.
|